વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તાઓ પર પડતા ભુવા મુદ્દે પોસ્ટર બેનર સાથે જનજાગૃતિ યાત્રા યોજવામાં આવી હતી. વડોદરા શહેરના અકોટાથી મુજમહોડા જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર મોટા મોટા ભુવા પડી રહ્યા છે. આ ભુવા માત્ર ટ્રાફિકને અવરોધી રહ્યા નથી પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓના જીવન માટે ગંભીર જોખમરૂપ બન્યા છે. વારંવાર ભૂવાઓ પડવાની આ સમસ્યાને લઈને તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે આ મુદ્દે જનજાગૃતિ લાવવા તથા તંત્રને જગાડવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જનજાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ અકોટા સ્થિત હોટલ વિવાન્તા સામે પડેલા મોટા ભુવા પરથી કરવામાં આવ્યો હતો. અને તે મુજમહોડા સુધી યોજાઈ હતી. આ જનજાગૃતિ યાત્રામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ ઋત્વિજ જોષી, કોંગ્રેસના કાઉન્સિલરો, અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ઢોલના તાલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તંત્ર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને રસ્તાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર તંત્રને તરત પગલાં લેવા માંગ કરી હતી.


Comments 0